Category Archives: અમેઝિંગ ગુજરાતી

ગુજરાતના આ વ્યક્તિએ બાળકો માટે કર્યું પોતાનું જીવન અર્પણ, કારણ જાણીને થશે ગર્વ

Kirit Goswami

બાળકો ભગવાનનું સ્વરૂપ છે આવું આપણે નાનપણથી સાંભળતા આવ્યા છે. આ જ ભગવાનને પોતાનું જીવન સમર્પિત કરી બેઠા છે જામનગરમાં રહેતા કિરીટ ગોસ્વામી જે વ્યવસાયે શિક્ષક છે . પરંતુ આજના ડીજીટલ યુગમાં જયારે બાળગીતો વિસરાઈ રહ્યાં છે અને બાળકોનું બાળપણ મોબાઈલની પાછળ વેડફાઈ રહ્યું છે ત્યારે કિરીટ ગોસ્વામીએ (Kirit Goswami) પોતાનું જીવન બાળગીતો લખવામાં અને બાળકોને મનોરંજનની સાથે જ્ઞાન આપવા માટે અર્પણ કર્યું છે.

Kirit Goswami

કિરીટ ગોસ્વામીનું (Kirit Goswami) જીવન અને કવન

કિરીટ ગોસ્વામીનો જન્મ 4 ઑગસ્ટ,1975 ના રોજ જામનગરમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ ચેલા તાલુકા શાળા અને માધ્યમિક શિક્ષણ દેવરાજ દેપાળ હાઇસ્કૂલ, જામનગરથી લીધેલું છે. તેમજ તેમણે પોતાનું ગ્રેજ્યુએશન આર્ટસમાં ડીકેવી કૉલેજ, જામનગર ખાતેથી કરેલું છે. આ સાથે જ એમણે ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટથી એમ.એ.નો અભ્યાસ કરેલો છે. ફક્ત એટલું જ નહીં આ ઉપરાંત કિરીટ ગોસ્વામી પાસે બી.એડ.ની પણ ડીગ્રી છે જે ડીજીટી કૉલેજ, અલીયાબાડાથી પ્રાપ્ત કરેલ છે. આટલો અભ્યાસ કર્યા બાદ કિરીટ ગોસ્વામીના મગજમાં આવેલા એક સુવિચારે તેમનું જીવન પરીવર્તીત કરી દીધું અને આજે લોકો એમને શ્રેષ્ઠ બાળગીતકારના નામથી ઓળખે છે.

Kirit Goswami

કિરીટ ગોસ્વામી ગુજરાતના સુપ્રસિદ્ધ બાળગીતકાર છે. અત્યારસુધીમાં એમના દ્વારા અસંખ્ય બાળગીતોની રચના કરવામાં આવી છે. જયારે કિરીટ ગોસ્વામીને બાળગીત લખવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે traveltoculture.com સાથે વાત કરતાં કિરીટ ગોસ્વામીએ કહ્યું કે “બાળગીત એટલા માટે લખું છું કારણ કે એ રીતે બચપણને હંમેશા તાજું રાખી શકાય છે. આ સાથે જ ફરીથી બાળક બનીને જીવન જીવવાનો અદ્ભુત લહાવો પણ લઇ શકાય છે.” કિરીટ ગોસ્વામી જણાવે છે કે બાળગીત લખવાની શરૂઆત આમ તો લગભગ કૉલેજકાળથી જ કરી હતી પરંતુ ત્યારબાદ 2000 ના વર્ષથી બાળગીત પર વધારે ફોકસ કર્યુ અને નક્કી કર્યું કે હવે મારું આ જીવન બાળકો માટે અર્પણ કરીશ.

Kirit Goswami

આજ સુધીના પાંચ શ્રેષ્ઠ બાળગીતકારની યાદીમાં કિરીટ ગોસ્વામીનું નામ તો અવશ્ય લેવું જ પડે

ડીજીટલ યુગના આ સમયમાં કિરીટ ગોસ્વામીની કલમે કમાલ કરી બતાવી છે. એમની કલમથી એવા બાળગીતોની રચના થઈ છે જેના કારણે દલપતરામથી લઈને આજ સુધીના પાંચ શ્રેષ્ઠ બાળગીતકારની યાદી બનાવવામાં આવે તો સુપ્રસિદ્ધ બાળગીતકાર કિરીટ ગોસ્વામીનું નામ તો અવશ્ય લેવું જ પડે. કિરીટ ગોસ્વામીના બાળગીતોની ખાસિયત એમની નાની રચનાઓને અને એમાં પણ ખાસ એની નાની પંક્તિઓ છે. હાથીભાઈ, ખિસકોલી, બિલાડી, કીડીબાઈ અને લાડુ જેવા બાળકોને ગમતા પાત્રો પર તદન નવીન રીતે કિરીટ ગોસ્વામીએ બાળગીતો લખ્યા છે. જે બાળગીતો બાળકોની સાથે એમના માતા-પિતા અને મોટાઓને પણ મનગમતા બન્યા છે. હાલના ડીજીટલ યુગને ધ્યાનમાં લઈને કીડીબાઈનું કમ્પ્યુટર જેવાં વિષયો પર પણ એમણે રચના કરેલી છે.

Kirit Goswami

છેલ્લા 20 વર્ષથી જામનગરમાં એકાકી જીવન પસાર કરે છે કિરીટ ગોસ્વામી (Kirit Goswami)

હાલમાં કિરીટ ગોસ્વામી જામનગર ખાતે હાઇસ્કુલમાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. કિરીટ ગોસ્વામી માતા-પિતાના અવસાન બાદ છેલ્લા 20 વર્ષથી જામનગરમાં એકાકી જીવન પસાર કરે છે. હાલ પરિવારમાં એક બહેન છે જે લગ્ન કરીને સાસરે છે. જયારે અમારા દ્વારા કિરીટ ગોસ્વામીને લગ્ન ન કરવા પાછળનું કારણ પૂછવામાં આવ્યુ ત્યારે એમણે કહ્યું કે પહેલા શોખ ખાતર બાળગીતો લખતો હતો. ત્યારબાદ એ વિષયમાં વધારે રૂચી પડતા તેના પર વિશેષ ધ્યાન આપવા લાગ્યો અને એ મારા માટે ક્યારે એક ધ્યેય બની ગયું એનો મને પણ ખ્યાલ નથી. બસ આ જ કારણસર મેં નક્કી કર્યું કે, ભગવાન દ્વારા મળેલો આ જન્મ તો માત્ર ને માત્ર બાળકો માટે જ સમર્પિત છે. એટલા માટે જ મેં લગ્ન ન કર્યા અને આજીવન બાળકો માટે જીવવાનું અને લખવાનું નક્કી કર્યું.

Kirit Goswami

450 થી વધારે બાળગીતો લખ્યા છે કિરીટ ગોસ્વામી (Kirit Goswami)

અત્યાર સુધીમાં કિરીટ ગોસ્વામીએ 450 થી વધારે બાળગીતો લખ્યા છે. આ સાથે કિશોર કથા, વિદ્યાર્થીલક્ષી સંવેદન કથાઓની પણ એમના દ્વારા રચના કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતભરની શાળાઓમાં આશરે 120 જેટલા બાળસાહિત્યના કાર્યક્રમ પણ એમના દ્વારા કરવામાં આવ્યા છે. માત્ર અહીંથી કિરીટ ગોસ્વામી અટકતા નથી માતૃભાષા અભિયાન દ્વારા જામનગર ખાતે દર મહિને બે વખત બાળકો માટે એક વિશિષ્ટ ‘બાળસભા’નું આયોજન અને સંચાલન પણ એમના દ્વારા કરવામાં આવે છે. આ સાથે કિરીટ ગોસ્વામી કહે છે કે ભવિષ્યમાં બાળગીત અને બાળસાહિત્યમાં યાદગાર કૃતિઓનું સર્જન કરવું એ જ મારું ધ્યેય છે. બાળકો માટે બાળગીતો લખતો હતો, હાલ પણ લખું છું અને આજીવન લખતો રહીશ એ જ મારું જીવન સૂત્ર છે.

Kirit Goswami
Kirit Goswami
Kirit Goswami
Kirit Goswami

કિરીટ ગોસ્વામીની વિશેષ વિગત

  • મોરારી બાપુ પ્રેરિત અસ્મિતા પર્વ – 2007 માં કાવ્યપાઠ
  • સુપ્રસિદ્ધ ગાયક ઓસમાણ મીર દ્વારા એક ગઝલ સ્વરબધ્ધ કરીને ગાવામાં આવે છે (પ્રેમ કયાં પંડિતાઇ માગે છે)
  • ગુજરાતી મ્યુઝિક એપ. “જલસો” પર કાવ્યપઠન

Kirit Goswami
  • 50 જેટલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું સંચાલન
  • જિલ્લાથી રાજ્યકક્ષાની માતૃભાષા સંવર્ધન તાલીમમાં તજજ્ઞ
  • જિલ્લાથી રાજ્ય કક્ષાની વિવિધ સાંસ્કૃતિક/લેખન વિષયક હરિફાઈમાં નિર્ણાયક
Kirit Goswami

કિરીટ ગોસ્વામી દ્વારા રચાયેલા બાળગીતનાં સંગ્રહો

  • એક એક ડાળખી નિશાળ – (2009)
  • ખિસકોલી ને કમ્પ્યુટર છે લેવું! – (2016)
  • એક બિલાડી બાંડી – (2018)
  • ગોળ ગોળ લાડુ – (2019)
  • કીડીબાઇનું કમ્પ્યૂટર – (2021)
      
Kirit Goswami
Kirit Goswami

કિરીટ ગોસ્વામીના કામની ગુંજ દુર-દુર સુધી ગુંજી રહે છે. સમાચારપત્રો, મેગેઝીનો, રેડિયો, ચેનલોથી લઈને સોશિયલ મીડિયા સુધી બધાએ એમના આ ઉમદા કામની નોંધ લીધી છે. આ જ કારણે આજે એ સેલીબ્રીટી બાળગીતકાર બની ગયા છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે 2019-20માં એક વિધાર્થીએ ગુજરાતી વિષયમાં પોતાની એમ.ફિલ.ની પદવી માટે લઘુશોધનિબંધ તરીકે “કિરીટ ગોસ્વામીની બાળકવિતાઓ : એક અભ્યાસને” રજુ કર્યો હતો. પોતાના કામની જેમ એમનો પ્રેમાળ, વિનમ્ર અને દયાળુ સ્વભાવ લોકોને એમના તરફ આકર્ષિત કરે છે.

Kirit Goswami
Kirit Goswami

                               
કિરીટ ગોસ્વામીના પ્રકાશિત બાળકાવ્યસંગ્રહો અને તેને મળેલા પારિતોષિકની વિગત

  • એક એક ડાળખી નિશાળ  (2009)
    ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક
  • ખિસકોલીને કમ્પ્યુટર છે લેવું! (2016 )
    અંજુ નરશી પ્રથમ પારિતોષિક
    ગુજરાતી સાહિત્ય પરિષદનું બાળ-કિશોર સાહિત્ય પારિતોષિક
  • એક બિલાડી બાંડી (2018)
    સ્વ. નાનાભાઈ હ. જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર
    અંજુ નરશી પ્રથમ પારિતોષિક
    ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક
  • ગોળ ગોળ લાડુ (2019)
    ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક
  • કીડીબાઇનું કમ્પ્યૂટર (2021)
Kirit Goswami

કિરીટ ગોસ્વામી રચિત વિદ્યાર્થીલક્ષી સંવેદન કથાઓ

  • ફૂલગુલાબી કિસ્સા (2010)
    કમિશનર ઑફ સ્કૂલ પુરસ્કાર
  • પતંગિયાની વાતો  (2013 )
    આદિત્ય કિરણ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
  • નોખા  નિશાળિયા  (2014)
  • થોડાંક ગુલાબ (2018)
Kirit Goswami

કિરીટ ગોસ્વામી દ્વારા 2010 માં એક નાગાટોળી નામની કિશોર કથાની પણ રચના કરવામાં આવી છે. આ સાથે કિરીટ ગોસ્વામી દ્વારા રચિત કૃતિઓની ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્યની પાઠયપુસ્તકમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કિરીટ ગોસ્વામીને એમના દ્વારા કરવામાં આવતા આ કાર્ય માટે અન્ય એવાર્ડ મળેલા છે.

કિરીટ ગોસ્વામીની પાઠયપુસ્તકમાં સમાવિષ્ટ કૃતિઓ

  • ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ધોરણ 4 ના ગુજરાતી (દ્વિતીય ભાષા)ના પાઠયપુસ્તકમાં બાળકાવ્ય ” વાંદરા કરતા હૂપાહૂપ ” સમાવિષ્ટ
  • મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ધોરણ – 6 ( બાલભારતી) માં ‘તારી મોજે’ કાવ્યનો સમાવેશ
  • મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક ધોરણ -5 ( સાહિત્ય પરિચય) માં  ‘હાથીભાઇને મોજ’ કાવ્યનો સમાવેશ
Kirit Goswami

Read Also

દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ

850 વર્ષ જૂનાં અને જમીનથી 150 ફૂટ ઊંચાઈએ આવેલાં આ કિલ્લાના 12 વર્ષ સુધી બંધ હતા મુખ્યદ્વાર, કારણ છે ચોંકાવનારું

ગાયો અને ખેડૂતો માટે ગુજરાતના આ ગોપાલે જે કર્યું એ જાણીને તમારી છાતી ગજ-ગજ ફૂલી જશે

કિરીટ ગોસ્વામીને મળેલ અન્ય પારિતોષિકની વિગત

  • ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ – (2016)
  • સેતુ જામનગર દ્વારા નગર રત્ન એવોર્ડ – (2016)
  • ભારતીય વિદ્યા ભવન દ્વારા બાળસાહિત્યકાર સન્માન – (2017-18)
  • માતૃભાષા અભિયાન દ્વારા ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ – (2013)
Kirit Goswami
Kirit Goswami
  • વિદ્યા ગુરુ સાંદીપનિ એવોર્ડ – (2015)
  • રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એવોર્ડ – (2001)
  • યશસ્વિતા એવોર્ડ – (2019)
  • ગુજરાત રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ – (2020)
  • ‘અચલા’ એજ્યુકેશન ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ – (2021)
  • સમગ્ર બાળસાહિત્ય સર્જન યાત્રા માટે અંજુ નરશી ગુર્જર બાળસાહિત્ય વૈભવ પુરસ્કાર – (2021)
Kirit Goswami
Kirit Goswami

46 વર્ષના કિરીટ ગોસ્વામીએ અત્યાર સુધીમાં બાળકો માટે જે કામ કરેલું છે એને કદાચ શબ્દોમાં વર્ણવી ન શકાય. એમના આ કાર્યની સફર જોઇને એમના માટે અમને અને તમને પણ ચોક્કસથી એમના પર ગર્વ થશે. આગળ હજુ કિરીટ ગોસ્વામી નવું શું-શું કરશે એ જાણવાનો પણ એટલો જ ઉત્સાહ રહેશે. એમના દ્વારા કરવામાં આવતા આ ઉમદા અને શ્રેષ્ઠ કાર્ય માટે traveltoculture.com કિરીટ ગોસ્વામીને “Amazing ગુજરાતી” કહીને બિરદાવે છે.

આ દીકરી છે માત્ર 1 વર્ષ અને 7 મહિનાની ઉંમરે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ડંકો વગાડનાર ભારતની યંગેસ્ટ વ્યક્તિ

Yami Surti

એવું કહેવામાં આવે કે ઉંમરમાં 3 વર્ષ કરતા પણ નાની બાળકી કલર, ગુજરાતી બારાક્ષરી, આલ્ફાબેટ્સ, સંગીત, શ્લોક, વિવિધ દેશના રાષ્ટ્રધ્વજ, સર્કીટ અને સાથે-સાથે html કોડીંગ જેવી બાબતો ઓળખી બતાવે છે… તો કદાચ માનવામાં નહીં આવે પરંતુ વાત ખરેખર સાચી છે. રંગીલા રાજકોટની હજુ સરખુ બોલતા પણ નહીં શીખેલી “યામી સુરતી” (Yami Surti) આવી તમામ બાબતો ઓળખી બતાવે છે.

Yami Surti

મહાભારતના યુદ્ધનો સૌથી નાની ઉંમરનો યોદ્ધો એટલે અભિમન્યુ. મહાભારતકાળથી જ એટલે કે અર્જુન પુત્ર અભિમન્યુના સમયથી જ ભારતમાં ગર્ભસંસ્કારનું વિજ્ઞાન અસ્તિત્વ ધરાવે છે. અભિમન્યુ, માતા સુભદ્રાની કૂખમાં જ ભગવાન કૃષ્ણના મુખે સાત કોઠાઓનું યુદ્ધ શીખ્યો હતો. જે ગર્ભસંસ્કારનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. વર્તમાન સમયમાં પણ ગર્ભસંસ્કાર પ્રક્રિયા દ્વારા ગર્ભસ્થ શિશુમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિમાં સંસ્કારોનું મહત્ત્વ

ઉત્તમ મનુષ્યના નિર્માણ પર ભારતીય સંસ્કૃતિ વધુ ભાર મુકે છે. આથી જ જ્યારે શિશુ ગર્ભમાં હોય ત્યારથી જ સંસ્કાર પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. જીવનની વિવિધ અવસ્થા દરમ્યાન વ્યક્તિમાં સંસ્કારનું સિંચન થતું રહે તે હેતુથી છેક જીવનપર્યંત વિવિધ તબક્કે તેનું સંવર્ધન થતું રહે તે માટે જીવનભર ચાલતી આ સંસ્કાર ઘડતરની પ્રક્રિયાને “સોળ સંસ્કાર”ની પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમાં ગર્ભાધાન, પુંસવન, સીમન્તોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ, કર્ણવેધ, ઉપનયન, વિદ્યારંભ, વેદારંભ, કેશાન્ત, સમાવર્તન, વિવાહ, અંત્યેષ્ટિનો સમાવેશ થાય છે. જેમાંથી લગભગ 12 જેટલા સંસ્કાર તો બાળકને 5 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં જ મળી જાય છે. આથી જ માતાને ગર્ભાવસ્થા દરમ્યાન સદવાંચન, સદવિચાર અને સત્સંગ કરવાનું કહેવામાં આવે છે. જે બાળકના ઉત્તમ ઘડતરમાં પાયારૂપ બાબત છે.

Yami Surti

ગર્ભાવસ્થા દરમ્યાન યામીને આપવામાં આવેલ ગર્ભસંસ્કારના કારણે આજે યામી (Yami Surti) બીજા બાળકો કરતાં અલગ

કલ્પેશભાઈ સુરતી અને અલ્પાબેન સુરતીના ઘરે 25 માર્ચ 2019ના દિવસે ફૂલ જેવી દીકરીનો જન્મ થયો. આ ફૂલ જેવી દીકરીનું નામ યામી રાખવામાં આવ્યું. માતા અલ્પાબેન સુરતીએ ગર્ભાવસ્થા દરમ્યાન અનુકરણ કરેલા તમામ પાસાઓ આબેહુબ આ બાળકીમાં દેખાવા લાગ્યા. કલ્પેશભાઈ સુરતી અને અલ્પાબેન સુરતીનું આ બાળક બીજા તમામ બાળકો કરતાં તદન અલગ છે. જેની પાછળનું કારણ માતા અલ્પાબેન દ્વારા ગર્ભાવસ્થા દરમ્યાન યામીને આપવામાં આવેલ ગર્ભસંસ્કાર છે. અલ્પાબેનનું દ્રઢ પણે માનવું છે કે ગર્ભાવસ્થા દરમ્યાન આપવામાં આવેલાં સંસ્કારો બાળકમાં ચોક્કસપણે અવતરે છે. હાલ યામી સુરતી તેનું એક ઉત્તમ અને ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

Yami Surti

હાલમાં યામીની ઉંમર 2 વર્ષ અને 5 મહિનાની (8/8/2021 ના રોજ) છે. આટલી નાની ઉંમરમાં સરખું બોલતાં પણ ન શીખેલી યામી મોટા લોકોએ પણ શરમાવે એવી બુદ્ધી અને સમજણ શક્તિ ધરાવે છે. યામી હાલમાં વિવિધ દેશના રાષ્ટ્રધ્વજ, તમામ ગ્રહો, ગુજરાતી બારાક્ષરી, આલ્ફાબેટ્સ, મ્યુઝિક, શ્લોક, ભારતના વિવિધ રાજ્યોનો નકશા, સર્કિટ અને બેટરી, કમ્પ્યુટર હાર્ડવેર અને સાથે કોમ્પ્યુટર સોફ્ટવેરની ફિલ્ડ સાથે જોડાયેલાં પિતા પાસેથી html કોડીંગ જેવી અનેક બાબતો કોઈપણ જાતના પ્રેશર વગર ઓળખી શકે છે. આ સાથે યામી અલગ-અલગ કઠોળને તેના અવાજના આધારે પણ ઓળખી બતાવવાની અજબ શક્તિ ધરાવે છે.

Yami Surti

યામી છે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામનાર ભારતની યંગેસ્ટ વ્યક્તિ (Yami Surti)

17 નવેમ્બર 2020ના દિવસે 1 વર્ષ, 7 મહિના અને 19 દિવસની યામીએ (Yami Surti) આવર્ત કોષ્ટકના 42 તત્વોને માત્ર 3 મિનિટ 33 સેકન્ડમાં જ ઓળખીને માત્ર રાજકોટ જ નહી પરંતુ સમગ્ર ગુજરાત સહીત ભારતને ગર્વ થાય એવું કામ કરી બતાવ્યું. 2 વર્ષ કરતાં પણ નાની ઉંમરમાં આવર્ત કોષ્ટકના વિષયમાં યામી સૌથી ઓછાં સમયમાં 42 તત્વોને ઓળખનાર ભારતની યંગેસ્ટ વ્યક્તિ છે. જેના માટે યામીને (Yami Surti) ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ મળેલ છે.

Yami Surti

આ પ્રકારની પ્રવૃત્તિઓથી બીજાને પણ પ્રેરણા મળે અને યામીના બાળપણના સંભારણા પણ સચવાયેલા રહે એ હેતુથી પિતા કલ્પેશભાઈ દ્વારા Fun and Learn with Yami નામની Youtube ચેનલ પણ બનવવામાં આવી છે. જેના પર યામીના (Yami Surti) આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતાં વિડીયો અપલોડ કરવામાં આવે છે.

Yami Surti

આ સાથે જ યામીના ભવિષ્યના ઘડતરને ધ્યાનમાં લઈને રોજના માત્ર 3 થી 4 કલાક સુધી માતા-પિતા દ્વારા યામીને આ પ્રકારની અને બીજી નવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવતી વખતે યામી પર કોઈપણ જાતનું પ્રેશર ન આવે એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પોતાની ઈચ્છા મુજબ યામી આ પ્રકારની પ્રવૃત્તિઓ કરે અને ભવિષ્યમાં એક ઉત્તમ અને આદર્શ વ્યક્તિ બને એવું કલ્પેશભાઈ સુરતી અને અલ્પાબેન સુરતીનું સપનું છે.

Yami Surti

20 વર્ષથી બાળકોના એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલાં છે કલ્પેશભાઈ

20 વર્ષથી બાળકોના એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલાં કલ્પેશભાઈને યામીની આ કુશળતા વિશે traveltoculture.com પૂછતાં એ જણાવે છે કે, હું છેલ્લાં 20 વર્ષથી બાળકોના એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલો છું. આ દરમ્યાન મેં અવલોકન કર્યું કે આજકાલના બાળકો મોબાઈલ ફોન, ટીવી જેવા ગેજેટના વ્યસની થઇ ગયા છે. આવું અમારા બાળક સાથે ન થાય એ વાતને ધ્યાનમાં લઈને અમે નક્કી કરેલું કે અમારા બાળકના જન્મ બાદ અમે એને અમુક ખાસ પ્રકારની પ્રવૃતિઓ કરાવશું. જેનાથી એના મગજનો વિકાસ પણ થશે અને એ આજકાલના બાળકોની જેમ મોબાઈલ ફોન, ટીવી જેવા ગેજેટના વ્યસની પણ નહી બને. કલ્પેશભાઈનું કહેવું છે બાળકને 3 વર્ષની ઉંમર સુધી જે ઈનપુટ આપવામાં આવે એ ભવિષ્યમાં એ બાળકના આઉટપુટ તરીકે જોવા મળે છે. આ જ તમામ બાબતને ધ્યાનમાં રાખીને અલ્પાબેનના ગર્ભાવસ્થા દરમ્યાન કરવવામાં આવેલી પ્રવૃત્તિઓ આજે યામીમાં જોવા મળી રહી છે.

Yami Surti

ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હર્ષદ શાહનું માનવું છે કે માતાની કૂખ બાળક માટે ગર્ભખંડ છે

વાઈસ ચાન્સેલર હર્ષદ શાહનું માનવું છે કે કોઈપણ સ્ત્રી જીવન દરમ્યાન ક્યારેક તો માતા બને જ છે તેમજ માતૃત્વ એ એક અમુલ્ય વરદાન છે. જેથી ગર્ભસ્થ શિશુને ગર્ભમાં જ સંસ્કારીત તેમજ શિક્ષીત કરવું ખુબ જ જરુરી છે. ગર્ભસ્થ શિશુને ગર્ભમાં આપવામાં સંસ્કાર એ 280 દિવસની એક પાઠશાળા છે. જેમ વર્ગખંડ હોય એમ માતાની કૂખ બાળક માટે ગર્ભખંડ છે. ગર્ભસ્થ શિશુને જે જ્ઞાન માતાના કરોડો કોષોથી મળે છે તે અમુલ્ય હોય છે. આપણે સૌ ગર્ભ વિજ્ઞાનના પ્રાચીન વારસાથી પરિચિત છીએ. આ માટે માતાએ વિશેષ પ્રકિયા કરવાની જરૂરત હોય છે જેથી માતા જેવું ઈચ્છે એવા બાળકને જન્મ આપી શકે છે અને તેનું માતૃત્વ સાર્થક કરી શકે છે.

Yami Surti

આ સાથે અલ્પાબેન બીજા બાળકો કરતાં યામી અલગ હોવા પાછળ ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીના તપોવન કેન્દ્રને પણ જવાબદાર ગણાવે છે. અલ્પાબેન જણાવે છે અમે જે પ્રકારના બાળકની કલ્પના કરતાં હતા. એવું બાળક બનવવા પાછળ ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીના તપોવન કેન્દ્રનું ખાસ યોગદાન છે. ગર્ભાવસ્થા દરમ્યાન આ ચિલ્ડ્રન યુનિવર્સિટીના તપોવન કેન્દ્રના મટીરીયલનો કરવામાં આવેલો ઉપયોગ હાલ યામીમાં સંસ્કાર તરીકે જોવા મળે છે.

Yami Surti

ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીના તપોવન કેન્દ્રની માહિતી

  • ગુજરાતના ગાંધીનગર શહેરમાં વિશ્વની એકમાત્ર અને અનોખી યુનિવર્સિટી જે બાળકના સર્વાંગી વિકાસ માટે છે કાર્યરત
  • “તેજસ્વી બાળક, તેજસ્વી ભારત”ના સૂત્રને સાકાર કરવા માટે કાર્યરત છે આ યુનિવર્સિટી
  • આ યુનિવર્સિટી ગર્ભાવસ્થા દરમ્યાન બાળકના વિકાસ માટે ચલાવે છે તપોવન કેન્દ્ર
  • બાળકના સર્વતોમુખી વિકાસ માટે ચલાવવામાં આવે છે વિદ્યાનિકેતન કેન્દ્ર
  • આ સંસ્થા શીખવે છે ગર્ભાવસ્થા દરમ્યાન અલગ-અલગ મહિને બાળકના મગજનો કેવી રીતે કરવો વિકાસ
  • ગર્ભાવસ્થા દરમ્યાન સંસ્થા દ્વારા અલગ-અલગ મહિને ખોરાક બાબતે, સંગીત સંભાળવા બાબતે, પુસ્તક વાંચવા બાબતે, સુગંધ કે સ્પર્શ જેવી બાબતો અંગે પણ આપવામાં આવે છે જાણકારી
  • આર્ટ, પેઇન્ટિંગ, મ્યુઝિક, ક્રાફટ, શ્લોક, વિજ્ઞાન, કમ્પ્યુટર, ભાષા જેવા અનેક વિષયોનું જ્ઞાન બાળક મેળવે છે માતાના ગર્ભમાં
  • આ વિષયોનું પ્રશિક્ષણ આપે છે સંસ્થાના નિષ્ણાંતો
  • આ તૈયારી થાય છે ગર્ભાવસ્થા દરમ્યાન જેથી બાળક પર નાની ઉંમરમાં કોઈ પ્રેશર રહેતું નથી અને બાળકના મગજનો થાય છે કુદરતી રીતે વિકાસ

Read Also

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

ગુજરાતના આ ટાપુ પર પાણીમાં ડૂબકી લગાવ્યા વગર નરી આંખે જોવા મળે છે દુર્લભ દરિયાઈ જીવો

400 ચોરસ કિમી.માં પથરાયેલું ગુજરાતનું આ જંગલ છે અચૂક જોવા જેવુ

Yami Surti

ગુજરાત સરકારના આ અભિગમ દ્વારા આ હરીફાઈના યુગમાં બાળકનો સર્વાંગી વિકાસ બાળક પર કોઈપણ જાતના માનસિક તણાવ વગર થાય એ હવે શક્ય છે. સગર્ભા માતા આ સમય દરમ્યાન પોતાના આહાર, વિહાર અને વિચારો દ્વારા યામી જેવા બાળકને જન્મ આપીને માતૃત્વ સાર્થક કરી શકે છે. નાની ઉંમરમાં મોટી સિદ્ધિ મેળવી ચુકેલી યામી ભવિષ્યમાં ભારત સહીત વિશ્વભરમાં રાજકોટ અને ગુજરાતનો ડંકો વગાડે તો એમાં કોઈ નવી નવાઈ નહીં.

આલેખન – રાધિકા મહેતા

ગાયો અને ખેડૂતો માટે ગુજરાતના આ ગોપાલે જે કર્યું એ જાણીને તમારી છાતી ગજ-ગજ ફૂલી જશે

Gopalbhai Sutariya Bansi Gir Gaushala

જેવી ગૌમાતાની સ્થિતિ એવી આપણી સ્થિતિ. જે હકીકતમાં આપણો દેશ આજે ભોગવી રહ્યો છે. જેટલી ગાયની આપણે ઉપેક્ષા કરી છે એટલી આપણી તકલીફો વધી છે. આવું મક્કમપણે માનવું છે ભારત સરકાર દ્વારા 2017 માં કામધેનુ પુરસ્કાર આપીને દેશની નંબર 1 ગૌશાળાની ઘોષણા કરવામાં આવેલ બંસી ગીર ગૌશાળાના સંચાલક ગોપાલ સુતરિયાનું

ગોપાલભાઈ કોણ છે? (Gopalbhai Sutariya Bansi Gir Gaushala)

ગોપાલભાઇ સુતરીયા બંસી ગીર ગૌશાળાના સ્થાપક છે. જેમનો જન્મ 1977 માં ગુજરાતના ભાવનગરમાં થયો હતો. તેમના આધ્યાત્મિક ગુરુજી શ્રી પરમહંસ હંસાનંદતીર્થ દાંડિસ્વામીના પ્રભાવ હેઠળ, તેમના જીવનના પ્રારંભથી, તેઓ રાષ્ટ્ર અને માનવતાની સેવા કરવા માટે પોતાનું જીવન પસાર કરવા માટે ઉત્સુક હતા. પરંતુ ગોપાલભાઇના પિતા મુંબઈમાં રહેતા હોવાથી પ્રાથમિકથી લઇ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ મુંબઈમાં લીધા બાદ પિતાના ધંધામાં કામ કરવાની શરુઆત કરી.

પુખ્તાવસ્થામાં, તેણે સફળતાપૂર્વક મુંબઈમાં પારિવારિક વ્યવસાય સંભાળ્યો, પરંતુ તેનું મન હંમેશા બાળપણનું એ સ્વપ્ન પૂરું કરવા માટે વિચારી રહ્યું હતું. છેવટે પિતાનો કરોડોનો હીરાનો ધંધો મૂકીને તેમણે ગૌશાળા સ્થાપવાની અને ગૌકૃષિ (ગૌમાતા આધારિત કૃષિ) લેવાની યોજનાની કલ્પના કરી.

Gopalbhai Sutariya Bansi Gir Gaushala
www.bansigir.in

બંસી ગીર ગૌશાળાની વિશેષતા (Gopalbhai Sutariya Bansi Gir Gaushala)

ગોપાલભાઈએ 2006 માં અમદાવાદમાં બંસી ગીર ગૌશાળાની સ્થાપના કરી. બંસી ગીર ગૌશાળામાં 18 ગોત્રની (વંશ) ગીર ગૌમાતાઓને ભેગા કર્યા બાદ તેમના વિવિધ પાસાઓનો અભ્યાસ કર્યો. 450 થી વધારે ગૌમાતાનો અલગ-અલગ અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે શાસ્ત્રો અને વેદોમાં ગૌમાતા વિશે જે લખવામાં આવ્યું છે તે એકદમ સાચું છે. આ અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે ગૌમૂત્રની અંદર 5100 થી વધારે અને ગોબરની અંદર 1200 થી વધારે તત્વો આવેલા છે. જે ધાવીને અનાજ પાકે એ આજના યુગમાં વપરાતા કેમિકલયુકત ખાતર કરતાં 1000 ગણું પૌષ્ટિક હશે.

અમદાવાદમાં શાંતિપુરા ખાતે બંસી ગીર ગૌશાળામાં વૈદિક અને વૈજ્ઞાનિક રીતે ગાયોનો ઉછેર કરવામાં આવે છે. અહિયાં 700થી વધારે દેશી ગાયોની જાતને એવી રીતે વિકસાવવામાં આવી છે કે જેની દેશ વિદેશમાં ખૂબ જ માંગ થઈ રહી છે.

પરંપરાગત ગોપાલન

ગોપાલભાઈનું (Gopalbhai Sutariya Bansi Gir Gaushala) માનવું છે કે સાચી પ્રગતિ અને વિકાસ એ જ કહેવાય કે જેમાં કોઈનું શોષણ ન થયું હોય પછી એ મનુષ્ય હોય કે પ્રાણી. એટલા માટે જ બંસી ગીર ગૌશાળામાં કોઈ પણ ગાયને ખિલ્લે બાંધવામાં આવતી નથી. આ સાથે દરેક ગૌમાતાને આપવામાં આવેલો ખોરાક અને પાણીની ગુણવત્તા અથવા માત્રામાં ક્યારેય સમાધાન કરવામાં આવતું નથી, પછી ભલે તે ગમે એટલું દૂધ ઉત્પન્ન કરે. ગોપાલભાઈ કહે છે કે ગૌમાતા પોતે જ નક્કી કરે છે કે એમને કેટલું ખાવું ને ક્યારે ખાવું, એના માટે અહીં પાણી અને ઘાસ સતત ભરેલું રાખવામાં આવે છે.

Gopalbhai Sutariya Bansi Gir Gaushala
www.bansigir.in

ગૌશાળાની સામે ગૌચર માટે ખુલ્લી જગ્યા છે જ્યાં ગાયોને સવારે ચરવા માટે લઈ જવામાં આવે છે. આ ગૌચર જગ્યામાં ઘાસના ઉત્પાદન માટે ઓર્ગેનિક ખાતર ઉપયોગ કરવામાં આવેલ છે. પોષક મૂલ્ય, ગાયોના સ્વાદ અને પસંદગીઓના સંશોધનને આધારે ગૌમાતાને ઓર્ગેનિક ખોરાક પણ પ્રદાન કરવામાં આવે છે. ગોપાલભાઈ જણાવે છે કે અમારા સંશોધન પરથી એ જાણવા મળ્યું કે ગૌમાતાને જીંજુઆ ઘાસની જાત વધારે પસંદ છે કારણ કે તે પોષણયુકત તો છે જ સાથે એના બીજા ઘણા ફાયદા છે.

એકવાર વાવેતર કર્યા પછી, આ ઘાસની જાત 30 વર્ષથી વધુ સમય સુધી જમીન છોડતી નથી, અને તે દર 20 દિવસે 2 થી 2.5 ફુટ સુધી વધે છે. “જીંજુઆ ઘાસ યોજના” અંતર્ગત, ખેડુતોને વિના મૂલ્યે જીંજુઆ ઘાસના બીજની વ્યવસ્થા પણ ગોપાલભાઈની ગૌશાળા દ્વારા કરી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 5000 થી વધુ ખેડુતોએ આ યોજનાનો લાભ લીધો છે.

Gopalbhai Sutariya Bansi Gir Gaushala
www.bansigir.in

વૈદિક વિધિ અને સંગીત

ગૌશાળાનું વાતાવરણ અને તેની પવિત્રતા જળવાઈ રહે એ માટે ગૌશાળામાં દૈનિક વૈદિક હવન કરવામાં આવે છે. આ સાથે અહિયાં ભક્તિમય સંગીત અને સંસ્કૃતના શ્લોકો પણ દરરોજ બેકગ્રાઉન્ડમાં વગાડવામાં આવે છે, જે ગૌમાતાને ખુશ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ગાયને નામ લઈને બોલાવતાં જાતે જ દોડી આવે છે

બંસી ગીર ગૌશાળાની ખાસિયત એ છે કે અહીંયાં રહેલી તમામ ગાયોના નામ રાખવામાં આવેલા છે અને દૂધ દોહવાનો સમય થાય એટલે ગાયને લેવા જવી પડતી નથી. ફક્ત જે-તે ગાયનું નામ લેતાં તરત જ તે જાતે દોડી આવે છે. આ સાથે જે ગાયનું નામ લેવામાં આવે છે એ જ ગાયનું બચ્ચુ પણ પોતાની માંનું નામ સાંભળતા જ જાતે બહાર દૂધ પીવા માટે દોડી આવે છે. આવું થવા પાછળના કારણ માટે ગોપાલભાઈ ઈશ્વરીય તત્વને જવાબદાર જણાવે છે.

Gopalbhai Sutariya Bansi Gir Gaushala
www.bansigir.in

દોહન

અહીં પ્રાચીન ભારતની દોહવાની પ્રણાલીને અનુસરવામાં આવે છે. વાછરડું ગમે ત્યારે, ગમે તેટલા સમય સુધી ગૌમાતાનું ધાવણ મેળવી શકે છે. આ માટે હંમેશા બે આંચળ વાછરડા માટે જ રાખવામાં આવે છે. જયારે બાકીના બે આંચળથી માણસો માટે દૂધ દોહવામાં આવે છે.

Gopalbhai Sutariya Bansi Gir Gaushala
www.bansigir.in

નંદી ગીર યોજના

અહીં ભારતીય ગાયોના પ્રજનન માટે તંદુરસ્ત નંદી રાખવામાં આવ્યો છે. આ નંદીને ગૌશાળા અને ગામોમાં મોકલવામાં આવે છે. અહીંની ગાયોને વેચવામાં આવતી નથી પણ નંદીને બીજી ગૌશાળા બે વર્ષ માટે રાખી શકે છે.

Gopalbhai Sutariya Bansi Gir Gaushala
www.bansigir.in

આયુર્વેદિક દવાઓની વિશાળ શ્રેણી વિકસાવવામાં આવી છે

અહીંયા હર્બલ તેમજ પંચગવ્ય આધારિત ઘટકોના મિશ્રણનો ઉપયોગ કરીને આયુર્વેદિક દવાઓની વિશાળ શ્રેણી વિકસાવવામાં આવી છે. આયુર્વેદમાં, ઘી અને ગોમુત્ર (ગૌમાતાનો પેશાબ)ને કુદરતી વૃદ્ધિકર્તા તરીકે વર્ણવવામાં આવ્યા છે, આ બંને ઘટકો સાથે જો દવા લેવામાં આવે તો દવાનું શોષણ અને અસરકારકતા સુધરે છે. ઉધરસ, હોર્મોનલ અસંતુલન, અસ્થમા અને કેન્સર જેવા વિવિધ પ્રકારના રોગોમાં અહીંના ઘી અને ગોમુત્ર આધારિત તબીબી ફોર્મ્યુલેશનનો ઉપયોગ કરીને નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કરવામાં આવ્યા છે.

નિ:શુલ્ક ક્લિનિક

સામાન્ય લોકો માટે ગૌશાળામાં નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન અને સારવાર આપવા માટે વૈદ્ય બેસાડવામાં આવ્યા છે. જે તમારી નાડી તપાસીને તમારા રોગો વિષે જણાવે છે. અહીંયા વિવિધ પ્રકારના રોગોની સારવારમાં દર્દીઓને ખૂબ જ સારા પરિણામો પણ પ્રાપ્ત થયા છે.

ગાયોના ચારામાં પણ આયુર્વેદનો ઉપયોગ

ગાયોને આપવામાં આવતા ચારામાં ઋતુ અને હવામાન પ્રમાણે ઘણા ગુણકારી આયુર્વેદિક છોડ ઉમેરવામાં આવ્યા છે. આમ કરવાથી ગાયોની તંદુરસ્તી અને દૂધની ગુણવત્તા સુધરે છે. બીમાર ગાયોના ઉપચાર માટે વધુમાં વધુ આયુર્વેદિક ઔષધોનો ઉપયોગ કરવામાં આવે છે અને પશ્ચિમી દવાઓનો ઉપયોગ બને એટલો ઓછો કરવામાં આવે છે.

ઓર્ગેનિક ખેતી

આપણો દેશ અને વિશ્વ કૃત્રિમ ખાતર અને જંતુનાશક સબસિડી પાછળ દર વર્ષે અબજો ડોલર ખર્ચ કરે છે. આનાથી ફૂડ ચેઇનમાં ઝેરી રસાયણો દાખલ થાય છે અને તેથી આરોગ્યમાં અસંતુલન અને જાહેર આરોગ્ય પર વધુ ખર્ચ કરવો પડે છે.

ખેડૂતોને ખર્ચ ઘટે અને સારો પાક આવે એ માટે કરવામાં આવ્યા પરીક્ષણ

ગોપાલભાઈનું (Gopalbhai Sutariya Bansi Gir Gaushala) માનવું છે કે ખેત ઉત્પાદન સુધારવા માટે કુદરતી પદ્ધતિઓ વિકસાવવાની જરૂરિયાત છે. ગોપાલભાઈ દ્વારા કરેલા સંસોધનમાં જાણવા મળ્યું કે છાશ, ગૌમુત્ર (ગૌમાતાનો પેશાબ) અને પાણીનું પ્રોબાયોટિક મિશ્રણ યુરિયા કરતાં વધુ ઝડપથી પરિણામ આપે છે, અને તે છોડની રોગ પ્રતિકારક અને વૃદ્ધિમાં વધારો કરે છે. ગૌમાતાના છાણ આધારિત ખાતર ખેતીની ઉત્પાદકતા અને ઓર્ગનિક ફાર્મિંગને આગળ વધારી શકે છે.

Gopalbhai Sutariya Bansi Gir Gaushala
www.bansigir.in

વૈદિક સમયગાળામાં, ભારતીય લોકોએ ગોપાલન અને કૃષિ વચ્ચેના સુમેળ સંબંધ સ્થાપીને ઘણા સારા પરિણામો મેળાવ્યા હતા. આ જ તમામ બાબતોને ધ્યાનમાં લઈને ખેડૂતોનો ખર્ચ ઘટે અને જમીન છિદ્રાળુ (પોરસ) બને એ હેતુથી બંસીગીર ગૌશાળા દ્વારા ગાયના છાણ અને મૂત્રના વિવિધ ટેસ્ટ કરાવ્યા બાદ તૈયાર કરવામાં આવેલ દ્રાવણનું પરીક્ષણ કરતાં જાણવા મળ્યું કે પાકનો વિકાસ ખૂબ જ સરસ રીતે અને સસ્તામાં થઇ શકે છે. આ દ્રાવણનો ખર્ચ એક એકર દીઠ માત્ર 2 રૂપિયા જ આવે છે. આ દ્રાવણનો ઉપયોગ કરીને 32 પાકમાં સારા પરિણામો મેળવવામાં આવ્યા છે. હાલ ખેડૂતોને બેક્ટેરિયા વાળું દ્રાવણ નિ:શુલ્ક આપવામાં આવે છે.

Gopalbhai Sutariya Bansi Gir Gaushala
www.bansigir.in

પોતાના 7 બાળકોથી શરૂ કરી ગોતિર્થ વિદ્યાપીઠ

ગોપાલ સુતરિયાનું (Gopalbhai Sutariya Bansi Gir Gaushala) દ્રઢ પણે માનવું છે કે બાળકોમાં ભણતરની સાથે સંસ્કારોનું સિંચન થવું ખુબ જ જરૂરી છે. શિક્ષણના ક્ષેત્રમાં ભારતના પ્રાચીન વૈદિક વિચારોને લાગુ કરવાના પ્રયાસરૂપે અહીં ગૌશાળાના જ પરિસરમાં ગોતીર્થ વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં બાળકો પ્રાચીન વૈદિક પરંપરાઓના આધારે શિક્ષણ મેળવે છે. અહીં કોઈ પરીક્ષાઓ અથવા પ્રમાણપત્રો નથી, અને શિક્ષકો વિદ્યાર્થીઓ પર કોઈ દબાણ લાવ્યા વગર સમયાંતરે મૂલ્યાંકન કરે છે.

Gopalbhai Sutariya Bansi Gir Gaushala
Gopalbhai Sutariya Bansi Gir Gaushala
Gopalbhai Sutariya Bansi Gir Gaushala

વૈદિક શિક્ષણ અને ગૌમાતા આધારિત આહારનો ઉપયોગ કરીને બાળકોની બૌદ્ધિક અને શારીરિક ક્ષમતાઓમાં નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત થયા છે. અહીં વિદ્યાર્થીઓ વૈદિક ગણિત, ગૌપાલન, કૃષિ, યોગ, આયુર્વેદ અને કલારીપયટ્ટૂ વિષયો શીખે છે. કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક વાતાવરણ પ્રાચીન “ગુરુ-શિષ્ય પરંપરા” સાથે સુસંગત છે. રસપ્રદ બાબત તો એ છે કે પોતાના જ ઘરના 7 બાળકોથી શરૂઆત કરવામાં આવેલી ગોતીર્થ વિદ્યાપીઠમાં આજે 70થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે જયારે 500થી વધારે બાળકોનું અહીંયા અભ્યાસ કરવા માટે વેઈટીંગ છે.

Gopalbhai Sutariya Bansi Gir Gaushala
Gopalbhai Sutariya Bansi Gir Gaushala

Read Also

દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ

ગુજરાતના આ ટાપુ પર પાણીમાં ડૂબકી લગાવ્યા વગર નરી આંખે જોવા મળે છે દુર્લભ દરિયાઈ જીવો

Gopalbhai Sutariya Bansi Gir Gaushala
Gopalbhai Sutariya Bansi Gir Gaushala

દેશની સૌથી શ્રેષ્ઠ, વૈદિક અને વૈજ્ઞાનિક રીતે ચાલતી બંસીગીર ગૌશાળાના સ્થાપક અને સંચાલાક ગોપાલ સુતરિયાનું (Gopalbhai Sutariya Bansi Gir Gaushala) કહેવું છે કે ગૌમાતા વગરનું જીવન હવે વિચારી શકાઈ એવું નથી. ગૌમાતાના અમને જે સ્વરૂપમાં દર્શન થયા છે એ જોઇને હવે મારું સંપૂર્ણ જીવન ગૌમાતા અને ખેડૂતો માટે સમર્પિત છે.

આજના આ સમયમાં ગોપાલભાઈ જે રીતે ગાયોની સેવા કરે છે અને માતાની જેમ તેની દેખરેખ રાખે છે તે જોઇને ચોક્કસ એવું લાગે કે તે ભગવાન શ્રીકૃષ્ણના ગોપાલ નામને સાર્થક કરે છે. ગુજરાતનો આ ગોપાલ (Gopalbhai Sutariya Bansi Gir Gaushala) ખરેખર અમેઝિંગ છે અને traveltoculture.com દ્વારા ગોપાલભાઈને Amazing Gujaratiનું બિરુદ આપતાં ગર્વની લાગણી અનુભવે છે.

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

Udaybhai Jadav

ગુજરાતના અમદાવાદમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે નીકળો ત્યારે તમને એવી રિક્ષામાં મુસાફરી કરવા મળે કે જે, ખાસ પ્રકારની સુવિધાઓથી ભરપુર હોય, એ સાથે અજાણ્યા હોવા છતાં મોંઘેરા મહેમાનની જેમ સ્માઈલી અને હાર્ટ જેવા ટેગ કપડાં પર લગાડીને સ્વાગત કરવામાં આવે અને મોઢા પર મોટું સ્મિત રાખીને રિક્ષાની રોયલ સવારી કરવા માટે આવકારવામાં આવે આ સાથે જ મુસાફરી દરમિયાન મેગેઝીન,છાપું,ફેન,મિનરલ વોટર સાથે નાસ્તાની લિજ્જત માણવા મળે તો કોઈ નવાઈ નહિ.

Udaybhai Jadav

11 વર્ષથી યુનિક કન્સેપ્ટ સાથે એક હીરો ચલાવે છે શાનદાર રિક્ષા(Udaybhai Jadav)

કારણ કે, અમદાવાદમાં છેલ્લા 11 વર્ષથી ખાદી કુર્તો અને ગાંધી ટોપી પહેરીને ફરી રહ્યો છે એક હીરો કે જે પોતાની શાનદાર રિક્ષા સાથે અમદાવાદના લોકોને એમના મૂકામ પર પહોંચાડે છે.આટલી બધી સગવડ ભોગવવા બાદ જ્યારે લોકો એને ભાડા માટે પૂછે તો એ ફક્ત એટલું જ કહે છે કે ‘જે ઈચ્છા હોય એ આપી દો’.

આજની આ મોંઘવારીમાં આટલી સુવિધા મેળવ્યા પછી કોઈ એવું કહે કે ‘જે ઈચ્છા હોય એ આપી દો’ તો કોઈને પણ પચાવવું થોડું અઘરું પડે પરંતુ અમદાવાદનો આ હીરો છેલ્લા 11 વર્ષથી યુનિક કન્સેપ્ટ સાથે રિક્ષા ચલાવે છે. જેનું નામ છે ઉદયસિંહ જાદવ…

આ યુનિક કન્સેપ્ટની શરૂઆત કઈ રીતે થઈ?

આ યુનિક કન્સેપ્ટની શરૂઆત વિષે જ્યારે ઉદયભાઈને (Udaybhai Jadav) પૂછવામાં આવ્યું તો એમને જણાવ્યું કે અમદાવાદમાં ચાલતા સેવા કેફે, કાલુપુર રામ રોટી જેવી સંસ્થા સાથે તે જોડાયેલા હતા અને એ જ સંસ્થાથી 2010માં તેમને પ્રેરણા મળી, આત્મમંથન કરતા તેમને વિચાર આવ્યો કે તે પણ પૈસાને મહત્વ આપવાને બદલે લોકોની સેવા કરશે અને એજ વિચારને અમલમાં લાવીને તેમને આ યુનિક કન્સેપ્ટથી રિક્ષા ચલાવવાની શરૂઆત કરી તેમનું ફક્ત એ જ માનવું છે કે મારી રિક્ષામાં બેસીને લોકોના મોઢા પર સ્મિત આવવું જોઈએ અને એટલા માટે જ એ બધાને પ્રેમ વહેંચવાનું કામ કરે છે.

ઉદયભાઈ જાદવની (udaybhai jadav) રિક્ષા બીજા કરતાં કઈ રીતે અલગ છે?

  • ઉદયભાઈની રિક્ષામાં લાયબ્રેરી, સોફ્ટબોર્ડ, ફેન,ડસ્ટબીન, લાઈટ જેવી ઘણી બધી સુવિધાઓ છે.
  • ઉદયભાઈ દ્વારા બાળકોને ચોકલેટ આપવામાં આવે છે. આ સાથે જ નાના બાળક માટેરિક્ષામાં રમકડાં પણ રાખવામાં આવ્યા છે.
  • રિક્ષામાં જ સત્ય અને અહિંસા નામના બે બોક્સ બનાવવામાં આવ્યા છે. જેમાં એક બોક્સમાં મિનરલ પાણીની બોટલ અને બીજા બોક્સમાં મુસાફરો માટે થેપલાં, પુરી, સુખડી, હાંડવા જેવો નાસ્તો રાખવામાં આવે છે.
  • રિક્ષા પર અલગ-અલગ પ્રકારનાં સૂત્રો લખીને લોકજાગૃતિનું કામ પણ ઉદયભાઈ દ્વારા કરવામાં આવે છે.
  • ગાંધીજીના જીવનથી પ્રેરણા લઈને બા-બાપુ સાથે જોડાયેલા અનેક પ્રસંગો પોતાની રિક્ષામાં ઉદયભાઈ એ કંડાર્યા છે.
  • આ ઉપરાંત રિક્ષામાં ‘અક્ષયપાત્ર’ નામની એક બોટલ રાખવામાં આવી છે જેમાં પોતાની રોજની કમાણીનો એક ભાગ જમાં કરવામાં આવે છે જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની પાછળ વાપરવામાં આવે છે.
  • દેશ-વિદેશથી આવતા મહેમાનો માટે ખાસ પ્રકારની હેરિટેજ ટુરનું આયોજન પણ ઉદયભાઈ દ્વારા કરવામાં આવે છે જેમાં મહેમાનોને ગાંધી આશ્રમ, હઠ્ઠીસિંગના દેરા, સિદી-સૈયદની જાળી, ભદ્રા ફોર્ટ, રાણી રૂપમતિની મસ્જિદ, સરખેજ રોજા જેવા ઘણા ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવવામાં આવે છે અને સાથે સાથે અમદાવાદના વારસા વિશે પણ માહિતગાર કરે છે. આથી લોકો એમને “અમદાવાદનો રિક્ષાવાળાના” નામે ઓળખે છે.
  • આ સાથે એમના દ્વારા એક ઈકો ગાડી વસાવવામાં આવી છે જેમાં લોકોને બેસાડીને અમદાવાદની સફર કરાવે છે અને અમદાવાદના વારસાને દેશ-વિદેશ સુધી પહોંચાડવાનું કામ કરે છે.એના માટે એમને એક ટુર પેકેજ બનાવ્યું છે. જેમની સેવા નજીવા ખર્ચે તેમના દ્વારા આપવામાં આવે છે. જેના માટે એમને આ હેરિટેજ ટુરને “સાબરમતિનો સારથિ” એવું નામ આપ્યું છે.
  • દેશ-વિદેશથી અમદાવાદને જાણવા અને માણવા આવતા લોકો ઉદયભાઈનો જ સંપર્ક કરે છે જેથી એમને અમદાવાદની તમામ માહિતી મળી રહે.

ઉદયભાઈને પત્નીનો એક મિત્ર જેવો સાથ સહકાર મળ્યો છે

મોંઘવારીના સમયમાં આ રીતે સેવા કરીને ગુજરાન ચલાવવું ખૂબ જ અઘરું છે પણ તેના આ કામમાં તેમના પત્ની ખભેથી ખભો મેળવીને સહભાગી બને છે અને ઉદયભાઈ દ્વારા દિવસના અંતે જેટલા પણ રૂપિયા આપવામાં આવે એમાં તેમના પત્ની કરકસર કરીને ઘરનું ગુજરાન ચલાવી લે છે રિક્ષામાં રાખવામાં આવતો નાસ્તો પણ તેમના પત્ની દ્વારા જ બનાવી આપવામાં આવે છે.

ઉદયભાઈ જાદવ (udaybhai jadav) બીજા રિક્ષા ડ્રાઈવરથી કઈ રીતે અલગ છે?

  • ઉદયભાઈની રિક્ષામાં ઉપર જણાવેલી બધી જ સગવડતાઓ છે પણ આ સુવિધાઓ માટે એમના દ્વારા ક્યારેય પણ એમના કોઈપણ પેસેન્જર પાસેથી ભાડું માંગવામાં આવતું નથી.
  • સફરના અંતમાં હાથમાં એક બોક્સ થમાવી દે છે જેમાં લખ્યું હોય છે ‘Pay from your heart’ એનો મતલબ એવો કે મુસાફરને પોતાના દિલથી જે પણ મૂકવું હોય તે બોક્સમાં મૂકી શકે છે.
  • ઉદયભાઈ બીજા રિક્ષા ડ્રાઈવરથી એટલા માટે અલગ છે કારણ કે, તેના દિવસની શરૂઆત થતાં પહેલાં પેસેન્જરનું ભાડું તેમના તરફથી ગિફ્ટ આપવામાં આવે છે અને ત્યારબાદ આવતાં પેસેન્જર તેના પછીનાં પેસેન્જરનું ભાડું ગિફ્ટ આપે છે અને બસ આ રીતે ઉદયભાઈની રિક્ષા ‘ગિફ્ટ ઇકોનોમીના’ મોડેલ પર ચાલે છે. પરંતુ જો કોઈ પેસેન્જર દ્વારા પૈસા ન આપવામાં તો પણ હસતાં મોઢે એમને એમના મુકામે પહોંચડવામાં આવે છે.
am

ઘણા સેલિબ્રિટી અને દીગજજો પણ આ રિક્ષાની સફર માણી ચૂક્યા છે

અમદાવાદના આ રિક્ષા ચાલકની રિક્ષામાં અમિતાભ બચ્ચન, કાજોલ, મોરારી બાપુ,પરેશ રાવલ, આશા પારેખ, ચેતન ભગત, ગુજરાતના મંત્રીઓ સહિત અનેક લોકોએ સફર કરી છે તેની રિક્ષામાં રાખેલી ફીડબેક બૂકમાં કાજોલ સહિત ઘણા બધા લોકોએ તેમના પ્રતિભાવ પણ લખેલા છે.બસ આ જ કારણથી ઉદયભાઈનો દીકરો પોતાના પિતાને સેલિબ્રિટી માને છે.

એમનો દીકરો કહે છે કે મારા પપ્પા પોતે જ એક સેલિબ્રિટી છે અને એમને ઘણા બઘી સંસ્થાઓ દ્વારા પોતાના આ યુનિક કામ માટે સન્માન કરવા અને લોકોને પ્રેરણા આપવા માટે બોલાવવામાં આવે છે.

Read Also :

ગુજરાતમાં આવેલું છે શનિદેવનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં સ્ત્રીઓ પણ કરી શકે છે શનિદેવની પૂજા

કૃષ્ણપ્રિય સખા સુદામાનું એકમાત્ર મંદિર જે આવેલું છે પોરબંદરમાં

કચ્છની આ જગ્યા હૂબહૂ અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્કને આવે છે મળતી,તસવીરો ન્યૂયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજ પર પણ પામી ચૂકી છે સ્થાન

ઉદયભાઈનું ફક્ત એ જ કહેવું છે કે મે પૈસા નહિ કમાયા પણ લોકોના દિલ જીતવાનું અને વિશ્વાસ જીતવાનું જે કામ કર્યું છે એનાથી હું ખૂબ જ ખુશ છું અને આજીવન આ કામ કરતો રહીશ.ઉદયભાઈનો આ દ્રઢ આત્મવિશ્વાસ અને મહેનતને જોઇને traveltoculture.com ઉદયભાઈને Amazing Gujaratiનું બિરુદ આપતાં ગર્વની લાગણી અનુભવે છે.